બેજન દારૂવાલા
– ધર્મેશ જોષી, ધ ગણેશાસ્પીક્સ ટીમ
સ્ફટિકની વૈજ્ઞાનિક વ્યાખ્યામાં એવું દર્શાવવામાં આવે છે કે સ્ફટિક ચોકકસ ગુણાત્મક આંતરિક માળખું ધરાવતા તેમજ ચોક્કસ અને ગુણાત્મક ખૂણાથી એકબીજાને છેદતી અને એકસમાન સપાટીથી આવરિત રચના ધરાવે છે. ટેક્ધિકલી એવું કહેવામાં આવે છે કે સ્ફટિક એ કુદરતી રીતે પ્રાપ્ત થતો એક ખડક છે જે ઘન રચના છે અને તે પર્યાવરણમાં થતા ફેરફારો ઉપરાંત અતિ ઉષ્માના પરિણામે બને છે. સ્ફટિકની રચના થવામાં હજારો કે લાખો વર્ષ પણ લાગી શકે છે.
મોટા ભાગના સ્ફટિક કુદરતી રીતે જ મળે છે અને તેનો એ પ્રકારે જ ઉપયોગ કરવામાં આવે છે તથા તે સંખ્યાબંધ રંગમાં ઉપલબ્ધ હોય છે. પ્રાચીનકાળથી સારવાર પ્રક્રિયાઓમાં તેમજ તાવીજરૂપે તેને પહેરવામાં આવે છે. જોકે, વર્તમાન સમયમાં સારવાર પદ્ધતિ ઉપરાંત ભાગ્યશાળી રત્ન તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને દાગીના તેમજ આભૂષણોની બનાવટમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે.
સ્ફટિકના સંખ્યાબંધ સ્વરૂપ જોવા મળે છે. ઘણા રત્નો અથવા રત્નોમાં આવતા મોટાભાગના ખડકો મૂળરૂપે સ્ફટિક જ હોય છે. કારણકે, તેની કુદરતી રીતે ઉત્પત્તિની પ્રક્રિયા સ્ફટિકીકરણથી જ શરૂ થાય છે. પરંતુ રત્નો મોટાભાગે વધુ ઘનતા ધરાવતા, દુર્લભ અને સખત હોય છે અને સંખ્યાબંધ રંગો તેમજ ચમકમાં ઉપલબ્ધ હોય છે. જેના આધારે તેનું વર્ગીકરણ કરી શકાય છે. આ વર્ગીકરણમાં આયુર્વેદ તેમજ જ્યોતિષશાસ્ત્રના આધારે તેમાં રહેલા ખનીજતત્ત્વોની માત્રા અને ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવે છે.
સ્ફટિકને સૌથી પ્રાકૃતિક સ્વરૂપ ગણવામાં આવે છે અને એકમાત્ર એવા જીવિત પથ્થર તરીકે ગણવામાં આવે છે જેને યોગ્ય પરિસ્થિતિ હેઠળ મૂકી રાખવામાં આવે તો તેની આપોઆપ વૃદ્ધિ થાય છે. એવા સંખ્યાબંધ સ્ફટિક વૃક્ષો અને સ્ફટિક પર્વતો આવેલા છે જેમાં સ્ફટિકના ગુચ્છાઓ આપોઆપ વૃદ્ધિ પામી રહ્યા છે. સારવારની શક્તિમાં સ્ફટિકનો રંગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રકાશ અને રંગના પ્રભાવથી ઉત્તેજના અથવા શાંતિ આવે છે. શુદ્ધિ અથવા સારવાર થાય છે. સકારાત્મક ઊર્જા આવે છે અને નકારાત્મક ઊર્જાનું શોષણ થઇ જાય છે. ચીની, ઇજિપ્તિયન, સુમેરીયન, ગ્રીક, રોમન અને શામન્સ જેવી પ્રાચીન સંસ્કૃતિઓ તેમજ પુરાતન સમયમાં વૈદ્યો દ્વારા સ્ફટિકનો ઉપયોગ વિવિધ રોગોપચાર પદ્ધતિઓમાં અલગ અલગ સ્વરૂપે કરાતો હતો જેમાં તેને ખાંડીને બારીક ભૂકો કરવો, તેને પ્રવાહીમાં રાખી તેનો ઉપયોગ કરવો, ધારણ કરવો, શરીરના કોઇ અંગ પર મૂકવો વગેરે પ્રકારે તેનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓમાં પણ તેનું વિશેષ મહત્ત્વ ટાંકવામાં આવ્યું છે. આવા રત્નો અંગેનું પ્રાચીન જ્ઞાન પેઢી દર પેઢી આગળ વધતું ગયું અને આજે પણ તેની શક્તિનો ઉપયોગ વિવિધ ઉપચારોમાં કરવામાં આવે છે.
ભારતના પ્રાચીન તબીબી વિજ્ઞાન આયુર્વેદ અને અન્ય ઉપચાર પદ્ધતિ યુનાની (ગ્રીક)માં પણ ઔષધીઓની બનાવટમાં સ્ફટિક અને રત્નોના વ્યાપક ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં મોતી અને લાલ પરવાળા જેવા રત્નોનો બારીક ભૂકો એટલે કે તેની ભસ્મનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે તેમજ કેટલીક દવાઓ બનાવવા માટે રત્નો અને સ્ફટિક સાથે કિંમતી ધાતુઓની ભસ્મ પણ ઉમેરવામાં આવે છે.
સ્ફટિકને પૃથ્વીનો જ એક હિસ્સો ગણવામાં આવે છે. તે ક્વાર્ટઝ અને સિલિકામાંથી બનેલા હોય છે, જે માનવશરીરમાં પણ મુખ્ય ઘટકોમાંથી એક હોય છે અને તે રત્ન સ્વરૂપમાં હોય અથવા ન પણ હોઇ શકે. રંગોની જેમ સ્ફટિકમાંથી પણ અલગ અલગ આવૃત્તિના સ્પંદનો નીકળે છે જે પૃથ્વી અને માણસોના વીજચુંબકીય ક્ષેત્ર સાથે મેળ ખાય છે.
બરછટ સ્ફટિક તેના પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવે છે અને તૂટેલા અથવા ખડકોમાંથી ખોદેલા હોવાથી સ્પષ્ટ આકાર નથી હોતો. પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવતા સ્ફટિકની સપાટી વાંકીચૂકી અને બરછટ હોય છે અને તેમાં સૌથી વધુ રોગોપચાર શક્તિ છૂપાયેલી હોય છે. પોલીશ થયેલા સ્ફટિકને ઘસીને તૈયાર કરવામાં આવ્યા હોય છે અથવા પાણી અને રેતીમાં લાંબા સમય સુધી ઘસાવાથી તે વધુ સુંવાળી અને સમાન સપાટીના બની જાય છે. મોટાભાગે તેનો ઉપયોગ સ્પર્શ-રત્નો તરીકે કરવામાં આવે છે અને તેને તાવીજ તરીકે ખિસ્સા કે પર્સમાં રખાય છે. આ સ્ફટિકની સુંવાળી સપાટીથી સારવારની વધુ સારી શક્તિ મેળવી શકાય છે. રોગોપચારમાં ઉપયોગમાં લેવાતા સ્ફટિકમાંથી બનાવેલા આભૂષણોમાં પણ આ રત્નોની અપાર ઊર્જા સમાયેલી હોય છે. કિંમતી ધાતુ અને રંગોનો ઉપયોગ જો આવા આભૂષણમાં કરાય તો રત્નોની ઊર્જામાં વૃદ્ધિ થાય છે. સ્વાસ્થ્યની કેટલીક ચોક્કસ જરૂરિયાતો માટે અથવા સૌહાર્દપૂર્ણ સ્પંદનો લાવવા સ્ફટિકના આભૂષણોનો ઉપયોગ કરાય છે.
પિરામિડ આકારના સ્ફટિક તેમજ અન્ય સ્ફટિકની મદદથી કોઇપણ વ્યક્તિના આભામંડળને તેમજ તેની આસપાસના ઊર્જા ક્ષેત્રને વધુ શુદ્ધ કરી શકાય છે. પિરામિડ સ્ફટિકનો ઉપયોગ ઘર અને ઓફિસમાંથી નકારાત્મક ઊર્જાના શોષણ માટે પણ કરવામાં આવે છે.