સંગીતા અતુલ શાહ
આજનો યુગ યંત્રયુગ થઈ ગયો છે. એટલે માણસ તેની કાર્યશૈલીમાં પણ પરિવર્તન લાવીને પ્રત્યેક વસ્તુ હાથવગી કેવી રીતે થાય તે દિશામાં શરીરે અનુસરવાના કેટલાક નિયમો પણ ભૂલી ગયો છે. જેને લીધે રાત્રે અવેળા પાર્ટી અને પ્રસંગોમાં લેવાતો આહાર અને કામકાજની વ્યસ્તતામાં રાત્રિના અન્ન ગ્રહણનો સમય ન સચવાવો જેવા અનેક કારણોએ રાત્રિભોજનની આડઅસરો માનવ શરીર અને સ્વાસ્થ્ય પર કરી છે.
રાત્રિ ભોજન વિશે નીતિવાક્યામૃતમ્ નામના એક પ્રાચીન ગ્રંથમાં જીવન જીવવા માટે દૈનિક પ્રવૃત્તિઓમાં સ્વાસ્થ્ય માટે આહારના નિયમો જાળવવાની ખૂબ સરસ વાત કરી છે. જેમાં રાત્રિ ભોજન પછી તરત જ વ્યાયામ કે કોઈપણ પ્રકારનો શારીરિક શ્રમ વધુ પડતો ન કરવાની સલાહ આપવામાં આવી છે. કારણકે રાત્રિ ભોજન પછી તરત કોઈપણ જાતનું શારીરિક શ્રમનું કાર્ય કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
સૂર્ય વિજ્ઞાન અને રાત્રિ ભોજન :-
સૂર્યએ પ્રકૃતિનું પ્રાણમય તત્વ અને ઉર્જામય તત્વ કહેવાય છે. સૂર્યપ્રકાશમાં કેટલાક વિશિષ્ટ કિરણો હોય છે જેને આપણે અલ્ટ્રા વાયોલેટ રેઝ અથવા ઈન્ફ્રારેડ કિરણો કહીએ છીએ. સૂર્ય પ્રકાશમાં આ કિરણો પૂરતા પ્રમાણમાં મળતા હોઈ તે સમયે અન્ન લેવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જ્યારે રાત્રે સૂર્યપ્રકાશની ગેરહાજરી અને ચંદ્રની શીતળતાને લીધે શરીરની પાચનક્રિયા મંદ થઈ જાય છે. જેથી શરીરમાં રક્ત પરિભ્રમણની ગતિ પણ શિથિલ થવાથી પાચનપ્રક્રિયા પર તેની અસર પડે છે જે ગંભીર બિમારીઓમાં પરિણમી શકે છે. જેથી મોટે ભાગે એસિડીટી, અલ્સર જેવા રોગો ખૂબ જ ઝડપથી શરીરને અસર કરે છે. રાત્રે હાઈડ્રોક્લોરિક એસિડ જેવા રસાયણો શરીરમાંથી વધુ છૂટતા હોઈ એસિડીટી જેવી બીમારીઓ લાગુ પડે છે જે ધીમે ધીમે અલ્સર જેવી ગંભીર બિમારીઓમાં પરિણમે છે. જ્યારે આધુનિક વિજ્ઞાનનો આ બાબતે સ્પષ્ટ નિર્દેશ છે કે જ્યાં અંધકાર હોય ત્યાં બેક્ટેરિયા જન્મ લે છે. એટલે રાત્રિના અંધકારમાં ખોરાકમાં બેક્ટેરિયાનું પ્રમાણ પણ એટલું વધારે રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એટલે રાત્રિભોજનને વિજ્ઞાન સાથે શાસ્ત્રોમાં પણ ત્યાજ્ય કહેવાયું છે.