દેશના અનેક રાજ્યોમાં ખેડૂતોને ખેત ઉત્પાદનના ભાવ મળતા નથી તેમજ દેવાં નાબુદી માટે આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ લાવવા ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે.
એક વાત તો એ સાચી જ છે કે, ખેડૂતોને અન્ય ધંધા-રોજગારના મુકાબલે વધારે મહેનત કરવી પડે છે. પરંતુ મહેનતના મુકાબલે તેમને વળતર પણ ખૂબ જ ઓછું મળે છે તે પણ એક સત્ય હકીકત છે. ખેડૂતોને ખેત ઉત્પાદનની લાગતના મુકાબલે ભાવ મળતા નથી. સામે બાજુ શહેરીજનો મોંઘવારીની બૂમો પાડે છે. આ બંનેના પ્રશ્ર્નો હલ કરવા માટે હવે નક્કર આયોજનની જરૂર છે. નક્કર આયોજનના અભાવે વરસોથી લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તે હકીકત છે.
આ સ્થિતિ ઊભી થવાનું મુખ્ય કારણ એ છે કે, ઉત્પાદન અને જરૂરિયાતના આંકડાઓ સરકાર પાસે ખોટા પહોંચે છે. આના કારણે અનેક વખત ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ખોટા નિર્ણયો સરકાર દ્વારા લેવાતા હોય છે. આ ખોટા નિર્ણયો નવા પ્રશ્ર્નો પેદા કરે છે. આથી જ રાજકીય પાર્ટીના આગેવાનોએ રાજનીતિમાંથી બહાર નીકળીને ખેડૂતોની આત્મહત્યા અને મોંઘવારીના પ્રશ્ર્નના કાયમી ઉકેલ માટે નક્કર આયોજન કરવાની તાતી જરૂરિયાત છે.
ખેડૂતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ લાવવાનો સમય હવે પાકી ગયો છે
નક્કર આયોજનના અભાવે અનેક પરિસ્થિતિઓ પેદા થાય છે. જેમ કે, હજારો હેક્ટરમાં જરૂરિયાતથી વધારે ખેડૂતો ડુુંગળી પકવે છે. વધારે ડુંગળી પાકવાથી માલ વેચાતો નથી અને ખેડૂતોને લાગત મુજબ ભાવ મળતો નથી.
ખેડૂતો દેવાદાર બની જાય છે. બીજા વર્ષે ડુંગળીનું વાવેતર તદ્દન ઘટી જાય છે. ડુંગળીનું વાવેતર ઘટવાથી દેશના લોકોની જે જરૂરિયાત છે તેનાથી ઓછી ડુંગળી પાકવાથી ભાવ આસમાને પહોંચી જાય છે. તેથી લોકો મોંઘવારીની બૂમો પાડવા લાગે છે. આવું દરેક પાકમાં આપણા દેશમાં થાય છે. નથી ખેડૂત ખુશ કે નથી આમ નાગરિક. વરસોથી મુશ્કેલી અને એની વ્યથાઓ સાંભળીને દુ:ખ થાય છે.
તો લોકોએ મોંઘવારીનો સામનો કરવો પડે છે. તેની વ્યથાઓ પણ આપણે વરસોથી સાંભળતા આવીએ છીએ. આ ગંભીર પ્રશ્ર્નના મૂળમાં યોગ્ય આયોજનનો અભાવ છે. રાજનેતાઓ અને ઓફિસરોની જવાબદારી બને છે કે યોગ્ય આયોજન કરીને લોકોને આ પીડામાંથી મુક્તિ અપાવવી જોઇએ. આ પ્રશ્ર્નના હલ માટે કેટલાક ઉપાયોનું અમલીકરણ શિસ્તબદ્ધ રીતે કરવું જરૂરી છે.
જેમ કે, * દેશની ૩૦ કરોડ હેકટર ખેતીની જમીનમાં વિવિધ પાકો માટે હજારો બ્લોક બનાવવા, * દરેક બ્લોકને જમીનની ગુણવત્તા અને પાણીને ધ્યાનમાં રાખીને પાકની પસંદગી બ્લોકવાઈઝ નક્કી કરવી વગેરે. આવા મુદ્દાઓનો કેન્દ્ર અને રાજ્ય સરકાર સંવેદનશીલ બનીને અમલ કરે તો ખેડૂત પણ સુખી થશે અને સામાન્ય નાગરિક પણ સુખી થશે.